ધ્રુવ ભટ્ટ દ્વારા રચાયેલી નવલકથા “તત્વમસી” મને ખૂબ જ ગમી. આજના ટેક્નોલોજીના યુગ કરતાં જુદી જ જીવનપદ્ધતિથી જીવતા, જીવન સમજતા આદિવાસી તથા કેળવણી પામેલા લોકો પણ શહેરથી દૂર, પૃથ્વીનાં એક છેડે જીવન જીવી રહ્યા છે.
તેમના જીવનમાં પૈસા, કમાણી કે નામનાનું મહત્વ નથી, પરંતુ મહત્વની છે શ્રદ્ધા. શાસ્ત્રીજીના કહ્યા મુજબ એમના માટે ધર્મ ઉપર નથી, પરંતુ ધર્મ કરતાંય શ્રદ્ધા ઉપર છે, વિશાળ છે.
માનવ સંસાધનનું સંશોધન કરવા ત્યાં ગયેલો એક માણસ અંતે તો ત્યાંના લોકોની શ્રદ્ધામાં અને પરંપરામાં રંગાઈ જાય છે. નર્મદા માત્ર એક નદી છે એવું માનતો માનવી રેવાના દર્શન કરે છે, નર્મદાને પામે છે અને જીવનનો સાર જ બદલાઈ જાય છે. આધુનિક શિક્ષણ પામેલી નવયૌવના શહેરમાં રહેવાની બદલે આદિવાસીઓની સાથે રહી જીવન જીવે છે અને તેમને માર્ગદર્શન પણ આપે છે. પાપ-પુણ્યમાં માનવાને બદલે પરંપરાને ટકાવી રાખવામાં પોતાનું યોગદાન આપે છે. બિત્તુબંગા, કે જેમની પાસે કોઈ પણ પ્રકારની શાળાનું શિક્ષણ નથી, છતાં તેઓ દરેક કાર્ય અને નવા સંશોધનો કરી શકે છે.
જો મને આ પુસ્તકમાં સૌથી વધુ ગમ્યું હોય તો એ બે વાતો છે. એક તો — કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ લોકો પરિક્રમાવાસીઓની સેવા કરે છે, બનતી બધી જ સગવડ કરાવે છે, માત્ર અને માત્ર આ પરંપરા જે સદીઓથી ચાલી આવી છે તેની ટકાવી રાખવા માટે. અને બીજું એ કે ઋષિમુનિઓએ જે નિયમો ઘડ્યા છે, જે માન્યતાઓ બનાવી છે તે માત્ર અંધશ્રદ્ધાઓ નથી, પરંતુ વૈજ્ઞાનિક બાબતો સાથે સંકળાયેલ છે. માત્ર તેને ધર્મ સાથે જોડી દીધી છે જેથી અભણ લોકો તેનો વિશ્વાસ કરી શકે.
જેમ કે પીપળાનું વૃક્ષ — લોકો માને છે કે પીપળાનું વૃક્ષ ઘરમાં ન હોવું જોઈએ કારણ કે તે અપવિત્ર ગણાય. હકીકતમાં એવું નથી; એ તો પવિત્ર જ છે અને પિતૃપૂજામાં પણ વપરાય છે. પરંતુ પીપળાના વૃક્ષના મૂળો વધારે મોટા અને શક્તિશાળી હોવાથી તે ઘરમાં અથવા નજીકમાં રહેલી ઈમારતને પાયામાંથી તોડી શકે છે, આથી તે ઘરમાં વવાતું નથી. આમ આ બાબતને ધર્મ સાથે જોડી દીધી છે. અને આવી તો કેટલીય બાબતો હશે!
નવલકથામાં આવતા સુપ્રિયા, પુરીયા, ગુપ્તાજી, ગણેશ શાસ્ત્રીજી, કાલેવાલી મા — બધા જ પાત્રો લેખકની સર્જન શક્તિના નમૂના છે. લેખકે પ્રકૃતિનું નિરૂપણ પણ ખૂબ જ બારીકાઈથી કર્યું છે. જાણે વાંચનાર ખુદ પર્વતોમાં ફરી રહ્યો હોય, નર્મદા ખળખળ વહેતી હોય અને જગતનું જાણે કંઈક અલગ જ દૃશ્ય નિહાળવા મળતું હોય.
No comments:
Post a Comment